Vasudev Mahatmay
Vasudev Mahatmay
Couldn't load pickup availability
Weight : 184.0 g
Height : 21.5 cm
Width : 14 cm
ભગવાન શ્રીવેદવ્યાસજીએ રચેલ સ્કંદપુરાણના વિષ્ણુખંડ અંતર્ગત આ ‘શ્રીવાસુદેવ માહાત્મ્ય પ્રબંધ’ શૌનક મુનિ તથા સૂતપુત્ર ઉગ્રશ્રવા તેમજ સાવર્ણિ મુનિ અને સ્કંદ કહેતા કાર્તિક સ્વામીના પ્રશ્ર્નોત્તર સંવાદ રૂપે 32 અધ્યાય અને 1419 શ્ર્લોકોમાં રજૂ થયેલ છે, જેમાં અન્વયપણે અંતર્યામીશક્તિથી સર્વમાં વસેલા અને વ્યતિરેકપણે શ્ર્વેતદ્વીપ ધામમાં રહેલા શ્રીવાસુદેવ ભગવાનનો અપાર મહિમા વર્ણવવામાં આવ્યો છે.
આ ‘વાસુદેવમાહાત્મ્ય’ ગ્રંથ ભગવાન શ્રીસ્વામિનારાયણ મહાપ્રભુને બહુ પ્રિય હોવાથી એમણે અમદાવાદ મંદિરમાં રહીને એક માસ સુધી આ ગ્રંથનું શ્રવણ કરેલું ત્યારે સભામાં પોતે પ્રસન્નતાપૂર્વક કહેલું કે આ ‘વાસુદેવમાહાત્મ્ય’ તો અમારા સંપ્રદાયનું સર્વ પ્રકારે મૂળ છે. (અધ્યાય-18, શ્ર્લોક નં. 42 થી 44)
પોતાની રુચિ દર્શાવતા પોતે ગ. પ્ર. ના 23મા વચનામૃતમાં કહેલ કે, "વાસુદેવ માહાત્મ્ય નામે જે ગ્રંથ તે અમને અતિશય પ્રિય છે, કેમ જે ભગવાનના ભક્તે ભગવાનને ભજ્યાની જે રીતિ તે સર્વે આ ગ્રંથમાં કહી છે.
ગઢડા મ.પ્ર.ના 28મા વચનામૃતમાં જણાવ્યું છે, "સ્કંદ પુરાણમાં શ્રીવાસુદેવ માહાત્મ્ય છે તે જેવો કોઈ ગ્રંથ જ નથી; કાં જે એ ગ્રંથને વિષે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને અહિંસાનું અતિશય પ્રતિપાદન કર્યું છે.
સદ્. શતાનંદ સ્વામીએ શ્રીવાસુદેવને ‘જનમંગલ સ્તોત્ર’માં બીજા ક્રમે અને ‘સર્વમંગલ સ્તોત્ર’માં 7મા ક્રમે શ્રીહરિના જ નામ તરીકે દર્શાવેલ છે. સત્સંગિજીવન ગ્રંથના પાંચમા પ્રકરણના 66મા અધ્યાયમાં ધાર્મિકસ્તોત્રમાં ‘શ્રીવાસુદેવ વિમલામૃત ધામ વાસં’ અર્થાત્ ‘હે વાસુદેવ તમે નિર્મળ અક્ષરધામમાં રહેલ છો’ એમ જણાવેલ છે.
સં. 1862માં ગઢપુરમાં પોતાનું વાસુદેવનારાયણ સ્વરૂપ શ્રીહરિએ ઉતરાદા બારના ઓરડામાં પધરાવેલ, જે હાલ મંદિરમાં ધર્મભક્તિ સાથે બિરાજે છે. વડતાલમાં પણ ધર્મભક્તિ સાથે વાસુદેવ સ્વરૂપ દર્શન આપે છે.
‘શિક્ષાપત્રી’માં સ્વયં શ્રીહરિએ માન્ય આઠ સત્શાસ્ત્રોમાં ‘શ્રીવાસુદેવ માહાત્મ્ય’ને 7મા ક્રમે સ્થાન આપ્યું છે. આ ‘વાસુદેવમાહાત્મ્ય’માં નિરૂપણ થયેલ ઘણાય આદેશોનો શિક્ષાપત્રીમાં ઉલ્લેખ જોવા મળે છે.
આ ‘વાસુદેવમાહાત્મ્ય’ વ્યાસ મુનિએ રચેલ સ્કંદપુરાણના સાતમા વિષ્ણુખંડમાં આવેલ છે. આ વિષ્ણુખંડના ત્રણ વિભાગમાં પ્રથમ કર્મકાંડ છે, બીજો જ્ઞાનકાંડ છે અને ત્રીજો ઉપાસનાકાંડ છે. એ ઉપાસનાકાંડ એ જ આ શ્રીજી મહારાજને અતિશય પ્રિય એવો ગ્રંથ શ્રીવાસુદેવમાહાત્મ્ય.
આ ‘શ્રીવાસુદેવમાહાત્મ્ય’ના મૂળ પ્રવર્તક તો શ્રીનરનારાયણ ભગવાન પોતે જ છે. એમણે જ આ સત્શાસ્ત્ર મહર્ષિ નારદજીને સર્વપ્રથમ સંભળાવેલ.
આ ગ્રંથનું સરળ ગુજરાતી ભાષાંતર અને સંકલન શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ નવસારી શાખામાં કાર્યરત શ્રી ધર્મજીવન સંત પાઠશાળામાં આચાર્ય તરીકે સેવા બજાવતા પ.પૂ. વેદાંતાચાર્ય શા. શ્રી સ્વરૂપદાસજી સ્વામીએ કરેલ છે. જેમાં અભ્યાસ કરનારા સંતો અને પાઠશાળાના પંડિતે પણ સહયોગ પૂરો પાડ્યો છે. આ સાથે વડતાલ મંદિરના વિદ્વતવર્ય શા. શ્રી હરિજીવનદાસજી સ્વામીએ કરેલ ભાષાંતરમાંથી પણ પ્રેરણા લેવામાં આવી છે. તેની પણ અત્રે સાભાર નોંધ લઈએ છીએ.
પ. પૂ. ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ અને મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામીની પ્રેરણાથી આ સદ્ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે. પ્રુફરીડીંગ સેવામાં પાર્ષદ શ્રી વશરામ ભગતે અને રમણીકભાઈ એસ. રૂપારેલિયા સાહેબે સેવા કરેલ છે. સાધુ રસિકવલ્લભદાસજી સ્વામીએ પેઈજ સેટીંગ અને સંકલનની સેવા કરેલ છે. ગ્રંથ ટાઈપીંગની સેવા ઓપરેટર મહેતાબંધુ શ્રી મનિષભાઈ તથા રાજેશભાઈએ સહર્ષ કરેલ છે. આ ઉપરાંત મૂળ મેટર તપાસવામાં નવસારી પાઠશાળાના સંતો તેમજ સદ્વિદ્યા પ્રકાશનમાં સેવા આપતા પ.ભ. શ્રી મનિષભાઈ ચાંગેલા તથા ગોરધનભાઈ સખિયા વગેરેએ જહેમત ઉઠાવેલ છે.
ગ્રંથનું સૌજન્ય ગુરુકુલના 75 વર્ષ પૂર્ણ થતા યોજાયેલ અમૃત મહોત્સવ પ્રસંગે સાહિત્ય પ્રકાશનમાં સહાય કરેલ યજમાનશ્રીઓ દ્વારા સામૂહિક રીતે સ્વીકારેલ છે.
આ ગ્રંથ પ્રકાશનમાં તનમનધનથી સેવા કરનાર સૌ કોઈ ઉપર શ્રીહરિની પ્રસન્નતા ઉતરે એજ અભ્યર્થના.
(નોંધ : પૂ. સ્વામીજીએ અક્ષરવાસ પૂર્વે તૈયાર થતા આ ગ્રંથની પ્રસ્તાવના લખી આપેલ તે જ અત્રે મુકેલ છે.)


Na
-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support